# Tags

વિયેતનામમાં ફસાયેલા સુરતના પ્રવાસીઓ મંત્રી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી મુક્ત થયા

સુરતના અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી ગત ૪ ઓકટોબરે વિયેતનામના પ્રવાસે ગયેલા ૩૭૦ જેટલા પ્રવાસીઓ વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ સુરતના સાંસદ, કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની મદદ માંગી હતી. જેથી મંત્રીશ્રીએ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા મળતા હાલ પ્રવાસીઓ તા.૧૩મીએ વિયેતનામના હનોઈથી અમદાવાદની ફ્લાઈટમાં પરત આવવા રવાના થઈ ચૂક્યા છે. પ્રવાસી પૂર્વાંગ જરીવાળાએ વિડીયો મેસેજ કરીને સહીસલામત પરત આવી રહ્યા હોવાનું જણાવી કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે કરેલા અવિરત પ્રયાસો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સુરતથી ગયેલા આ જૂથના કેટલાક પ્રવાસીઓએ પણ ‘અમે સૌ સલામત છીએ અને પરત આવી રહ્યા છીએ’ એમ જણાવતા વિડિયો શેર કર્યા હતા, અને તેમની મુક્તિ અપાવવામાં ઝડપી, અસરકારક કાર્યવાહી અને પ્રતિસાદ બદલ શ્રીમતી જરદોશનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
વિયેતનામના પ્રવાસે ગયેલા સુરતના પ્રવાસીઓએ નાણાંનું યોગ્ય ચૂકવણી ન કરી હોવાનું જણાવીને હોટેલ માલિકે રૂમ ખાલી કરાવીને તેમના એક સમૂહને ગોંધી રાખ્યું હતું. હોટેલ માલિકોની ચુંગાલમાંથી છૂટી હનોઈ એરપોર્ટ પહોંચેલા મુસાફરો પૈકી સુરતના પૂર્વાંગ બરફીવાલા અને ઝંખના તથા એમના મિત્ર પ્રતિક હર્ષદકુમાર તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ પાસેથી એરપોર્ટ પર હાજર હોટેલના સ્ટાફે પાસપોર્ટ ઝુંટવી લેતા મામલો હનોઈ પોલીસ સુધી પહોંચ્યો હતો. અન્ય કેટલાક મુસાફરોએ વધુ ડોલર આપીને સેટલમેન્ટ પણ કરવું પડ્યું હતું.
કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વિયેટનામથી કેટલાક પેસેન્જરોએ મને આ સમસ્યાની ટેલિફોનિક ફરિયાદ કરી હતી. જે મુજબ પેસેન્જરોને સલામત રીતે પરત લાવવા પ્રયાસ શરૂ કર્યા હતા. હાલ આ પ્રવાસીઓ બે સમૂહમાં પરત આવી રહ્યા છે. તમામ મુસાફરો સહીસલામત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *