# Tags

જહાંગીરાબાદના ૧૫૫૨ અને પાંડેસરાના ૫૯ નવનિર્મિત આવાસોની ચાવીઓ લાભાર્થીઓને અર્પણ

સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રૂ.૧૩૧.૮૪ કરોડમાં નવનિર્મિત ગુજરાત હાઉસિંગ બોર્ડના ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ના નવનિર્મિત આધુનિક સુવિધાયુક્ત ૧૬૧૧ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં જહાંગીરાબાદ ખાતેના L.I.Gના ૧૨૪૦, L.I.G – ૨ ના ૩૧૩ તથા પાંડેસરાના L.I.Gના ૫૯ પ્રકારના આવાસોનો સમાવેશ થાય છે. ગૃહપ્રવેશનાં પ્રતીકરૂપે મંત્રીશ્રીએ લાભાર્થીઓને ઘરની ચાવી સોંપી નવી શરૂઆત માટે શુભાશિષ આપ્યા હતા.


આ પ્રસંગે પોતાનું ઘર મેળવનારા લાભાર્થીઓને અભિનંદન પાઠવતા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ મિની ભારત સમાં સુરતમાં વસતા લાખો શહેરીજનોને અપાતી સુવિધાઓ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, શહેરીકરણના હિતમાં ઝૂંપડપટ્ટી નિવારણ હેતુથી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ પાકા અને તમામ સુવિધાથી સજ્જ આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજનાનો દેશભરમાં અમલ કરાયો છે. જે થકી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનું પોતીકા ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થઈ રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૪ કલાક વીજળી મળવાથી ડબલ એન્જિનની સરકારે ઉત્તરોઉત્તર ઉદ્યોગો, આરોગ્ય, રોજગારી, શિક્ષણ, પાણી, રહેઠાણ અને અનાજને લગતી અનેકવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્ય કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા મંત્રીએ દર્શાવી હતી.


પવિત્ર નવરાત્રિ પર્વની સાતમે નવા આવાસો રૂપી ભેટ મેળવતા પરિવારોને મંત્રીશ્રી દર્શનાબેન જરાદોશે સુખ શાંતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ઘરના ઘરનું સ્વપ્ન સૌ કોઈની પ્રાથમિકતા હોય છે. સ્ત્રી લાભાર્થીઓના નામે આવાસો ફાળવવાના કારણે મહિલાઓ આત્મસન્માનની લાગણી અનુભવી રહી છે. તેમણે કહ્યું કે, કમ્યુનિટી લિવિંગની સાથે અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં હાઉસીંગ યોજના સફળ નીવડી છે. સમયાંતરે અમલમાં આવતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં ઉજાશ પાથરી રહી છે. સ્વચ્છ અને સ્માર્ટ સિટી સાથે સુરત હવે બેસ્ટ લિવેબલ સિટીની ઉપમા ધરાવે છે. આ સંદર્ભે મંત્રીશ્રીએ દરેક નાગરિકને હળીમળીને રહેવા તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતાનો અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રી પુર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે. વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવી રહી છે જેથી મધ્યમવર્ગીય પરિવારોને સસ્તાદરે આવાસો મળી રહ્યા છે.


નોંધનીય છે કે, ૧૧ થી ૧૨ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ અને માયવન ડિઝાઇન આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, બાહ્ય તેમજ આંતરિક પાણી પુરવઠા કનેક્શન, સોલાર સિસ્ટમ, વરસાદી પાણી સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, કેમ્પસ ગાર્ડનિંગ, લેન્ડ સ્ક્રેપીંગ,ડિજિટલ જનરેટર તેમજ કેમ્પસમાં સોલાર સંચાલિત સ્ટ્રીટ જેવી બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.
આ અવસરે સાંસદશ્રી સી. આર. પાટીલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યો સંદીપભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, પૂર્વ ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, નાયબ કમિશનર કુલદીપ ભાઈ, હાઉસિંગ કમિશનર એસ.પી.વસાવા, કોર્પોરેટરશ્રી ગૌરી બેન સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *